સુરત જિલ્લામાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં બે બસ વચ્ચે ટક્કર થતાં આગ ફાટી નીકળી હતી. જેના પગલે પાંચ લોકોના મોત થયાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે. બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાર્સિંગની બે સરકારી એસ.ટી. બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર પલટી મારી ગયેલા એક ટેન્કરને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બસ સીએનજી (CNG) સંચાલિત હોવાના કારણે ટક્કર બાદ તુરંત જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
અકસ્માતની ઘટના અંગે મળતી વધુ માહિતી પ્રમાણે સુરત જિલ્લાના બારડોલીના ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. આ પલટી મારી ગયેલા ટેન્કર સાથે અથડામણ ટાળવા માટે પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની સરકારી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
કાબૂ ગુમાવતા જ બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી ગઈ હતી અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની જ અન્ય એક સરકારી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ સામસામેની ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત બસો પૈકી એક બસ CNG સંચાલિત હોવાથી, ટક્કરની ગણતરીની સેકન્ડોમાં જ તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતાંમાં આગે આખી બસને લપેટમાં લઈ લેતા મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.
