લાંબી રાહ જોયા પછી ભારતમાં ચોમાસુનું આગમન થઇ ગયું છે. ભારત હવામાન વિભાગે ગુરુવારે જાહેરાત કરી હતી કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ પહોંચી ગયું છે. દક્ષિણ ભારતીય રાજ્યમાં લાંબા સમયથી વરસાદ ચાલુ હતો, પરંતુ હવે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે રાજ્યમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે.
ચોમાસામાં થોડો વિલંબ
હવામાન વિભાગે શરૂઆતમાં આગાહી કરી હતી કે ચોમાસુ 26 મે સુધીમાં કેરળમાં આવી શકે છે. જોકે તે સમયે ચાર દિવસ વિલંબ અથવા વહેલા આગમનની પણ આગાહી કરી હતી. પરિણામે એવું માનવામાં આવતું હતું કે વરસાદ 30 મે સુધીમાં શરૂ થઈ શકે છે. તે પછી પણ ચોમાસુ મોડું થયું હતું. ચોમાસુ 1 જૂનની સામાન્ય તારીખે પહોંચ્યું ન હતું. વરસાદ ચાર દિવસ મોડો શરૂ થયો છે.
કેરળમાં ભારે વરસાદની ચેતવણી
IMD એ ગુરુવારે સવારે કેરળના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. તેમાં અલાપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમ જિલ્લાઓનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે, જેમાં મહત્તમ પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની હશે.
હવામાન વિભાગે એમ પણ જણાવ્યું હતું કે તિરુવનંતપુરમ, કોલ્લમ, પત્તનમથિટ્ટા, ઇડુક્કી અને ત્રિશુર જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
દિલ્હી-એનસીઆરમાં વરસાદ
ગુરુવારે બપોરે દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે દિવસમાં જ અંધારું છવાઇ ગયું હતું. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે 4 અને 5 જૂને દિલ્હીમાં વરસાદની આગાહી કરી છે.
આ વખતે ચોમાસુ કેવું રહેશે?
ગયા અઠવાડિયે હવામાન વિભાગે તેની સુધારેલી આગાહીમાં જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે. IMD એ જણાવ્યું હતું કે ભારતમાં આ વર્ષે તેના લાંબા ગાળાના સરેરાશ (LPA) વરસાદ 90 ટકા રહેવાની અપેક્ષા છે. LPA એ ચોક્કસ સમયગાળા (જેમ કે એક મહિનો અથવા મોસમ) દરમિયાન ચોક્કસ પ્રદેશમાં નોંધાયેલ વરસાદનો ઉલ્લેખ કરે છે, જે સામાન્ય રીતે 30 થી 50 વર્ષના લાંબા સમયગાળાના આધાર પર કાઢવામાં આવે છે.
1971 થી 2020 ના આંકડાના આધારે દેશભરમાં મોસમી વરસાદ માટે સરેરાશ LPA 87 સેમી છે. જો ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ LPA ના 90 ટકાથી ઓછો પડે છે તો IMD તેને “અપૂરતો” માને છે. સામાન્ય કરતા ઓછા વરસાદનું એક કારણ અલ નીનો પરિસ્થિતિઓનો ઉદભવ હોઈ શકે છે, જેના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન દેશમાં ઓછો વરસાદ પડે છે.
