અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઇંગ 787 પ્લેશ ક્રેશ દૂર્ઘટનાને આગામી જૂન 2026માં એક વર્ષ થશે. આ વિમાન દૂર્ઘટનામાં 169 મુસાફરોના મૃત્યુ થયા હતા. આ કરુણાંતિક વિમાન અકસ્માતનું કારણ શોધવા એર ઈન્ડિયાના બોઇંગ 787 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મોડ્યુલનું યુએસના બોઇંગ પ્લાન્ટમાં પરીક્ષણ કરવામાં આવશે જેથી તેની કાર્યક્ષમતા અને મજબૂતાઈ તપાસી શકાય.
ફેબ્રુઆરીમાં પાઇલટ દ્વારા જાણ કરવામાં આવેલી સમસ્યા પછી આ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ જણાવ્યું હતું કે અધિકારીઓની હાજરીમાં કરવામાં આવનાર આ ટેસ્ટિંગમાં આ ચોક્કસ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની સતત ઉડાન યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે.
આ મામલે એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, આ પરીક્ષણ અત્યંત સાવચેતીપૂર્વક રાખીને સંપૂર્ણ મૂલ્યાંકન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે જૂનમાં અમદાવાદમાં એર ઇન્ડિયાના અન્ય બોઇંગ 787 જેટ (VT-ANB) ના જીવલેણ દુર્ઘટનાની તપાસમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
અમદાવાદ એર ઈન્ડિયા દુર્ઘટનાના પ્રાથમિક તપાસ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે બંને એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ ટેક ઓફ થયાની થોડી સેકન્ડોમાં ‘રન’થી ‘કટઓફ’ પોઝિશનમાં બદલાઈ ગયા હતા અને બંને એન્જિનને પૂરતું બળતણ મળ્યું ન હતું.
જો કે તે VT-ANB ક્રેશની તપાસ સાથે સીધો સંબંધ નથી, બીજા બોઇંગ 787 (વીટી-એએનએક્સ) ની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ પેનલનું પરીક્ષણ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે અકસ્માતનો અંતિમ તપાસ અહેવાલ થોડા અઠવાડિયામાં આવવાની અપેક્ષા છે.
આ કેસમાં નવું શું છે?
2 ફેબ્રુઆરીએ એર ઇન્ડિયાના એક પાઇલટે એરલાઇનને જણાવ્યું હતું કે લંડનમાં એન્જિન શરૂ કરતી વખતે, VT-ANX વિમાનના બે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ માંથી એકને સહેજ દબાવવાથી તે RUN થી CUTOFF પોઝિશન પર જતું રહે છે અને ત્રીજા પ્રયાસમાં RUN પોઝિશનમાં યોગ્ય રીતે લોક થઈ જશે. આ વિમાને લંડન – દિલ્હી માટે ઉડાન ભરી હતી, ત્યારબાદ પાઇલટે સમસ્યાની જાણ કરી હતી.
એર ઇન્ડિયાએ શું કહ્યું?
ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ એરક્રાફ્ટના એન્જિનમાં બળતણના પ્રવાહને નિયંત્રિત કરે છે અને આકસ્મિક બંધ થવાથી બચવા માટે તેને માત્ર એક વિશેષ પુલ એન્ડ લોક મિકેનિઝમ દ્વારા જ ચાલવું જોઈએ. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (ઓઇએમ) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) બંને દ્વારા મોડ્યુલ સંપૂર્ણ રીતે કાર્યરત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. વધારાની સાવચેતી રાખીને, પાર્ટ્સનું સંપૂર્ણ અને નિર્ણાયક મૂલ્યાંકન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે વધુ સમીક્ષાઓ અને પરીક્ષણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એર ઇન્ડિયાએ એમ પણ કહ્યું હતું કે આ વધારાના પગલામાં કન્ટ્રોલ લેબ વાતાવરણમાં ટેસ્ટિંગનો સમાવેશ થાય છે જેથી તેની કામગીરી અને અખંડિતતાની નિશ્ચિતપણે પુષ્ટિ થઈ શકે. અમે આ પ્રક્રિયાને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.
