અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા એક પરિવારનો 21 વર્ષનો પુત્ર ધ્વનિત રાજદીપ, જે જ્યોર્જિયામાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો, તે છેલ્લા 10 દિવસથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગયો છે. પરિવારનું કહેવું છે કે ગત 14 મેથી તેનો ફોન સતત સ્વિચ ઑફ આવી રહ્યો છે અને પરિવારનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. આ ઘટનાને પગલે ચિંતિત પરિવારે ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને પોતાના દીકરાની હેમખેમ ઘરવાપસી માટે તાત્કાલિક દખલગીરી કરવા આજીજી કરી છે.
વિદ્યાર્થી ધ્વનિત રાજદીપ મૂળ ગુજરાતના અરવલ્લી જિલ્લાના સથંબા તાલુકાના આમોદ્રા ગામનો વતની છે અને તેનો પરિવાર હાલમાં અમદાવાદમાં રહે છે.
ધ્વનિત રાજદીપ અગાઉ તબીબી અભ્યાસ માટે યુક્રેન ગયો હતો પરંતુ ત્યાં રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળતાં તેને અધવચ્ચેથી ભારત પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે તે છેલ્લાં બે વર્ષથી જ્યોર્જિયાની ‘કોકસસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી’માં એડમિશન મેળવીને અભ્યાસ કરી રહ્યો હતો. તે તેના 9મા સેમેસ્ટરમાં હતો અને આગામી સપ્ટેમ્બર મહિનામાં જ ડોક્ટરની ડિગ્રી મેળવીને ભારત પરત ફરવાનો હતો.
મકાન મલિક પરેશાન કરતો હોવાનો આરોપ
ધ્વનિતના પિતા મયુર રાજદીપે મીડિયા સમક્ષ ફ્લેટના માલિક પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ધ્વનિત જ્યોર્જિયાની રાજધાની તિબિલિસીમાં જે ફ્લેટમાં ભાડે રહેતો હતો તેનો માલિક અનિલ, તેની ગર્લફ્રેન્ડ માન્યા અને બીજો એક રૂમપાર્ટનર ઝાકી ધ્વનિતને સતત માનસિક ત્રાસ આપતા હતા.
આ હેરાનગતિથી કંટાળીને ધ્વનિતે બીજો ફ્લેટ રાખી લીધો હતો અને પોતાનો અડધો સામાન ત્યાં શિફ્ટ પણ કરી દીધો હતો. જોકે, આ ટોળકીએ ધ્વનિતનો બાકીનો સામાન રોકી રાખીને તેની પાસે ગેરકાયદેસર રીતે પૈસાની માંગણી શરૂ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
પરિવારે દીકરાની સલામતી માટે આરોપીઓએ માંગેલી તમામ રકમ મોકલી આપી હતી. 14 મેના રોજ સવારે ધ્વનિત પોતાનો પાસપોર્ટ અને સામાન લઈને અમદાવાદ આવવા માટે એરપોર્ટ જવા રવાના થયો હતો. ભારત આવવા માટેની તેની ફ્લાઇટ ટિકિટ પણ બુક થઈ ગઈ હતી. પરંતુ બપોરે દોઢ વાગ્યાની આસપાસ પિતા સાથે ફોન પર વાત થયા બાદ અચાનક જ તેનો ફોન બંધ થઈ ગયો હતો. પરિવારને મજબૂત શંકા છે કે ફ્લેટ માલિક અનિલ અને તેની ગર્લફ્રેન્ડે ધ્વનિતને એરપોર્ટ પહોંચવા દીધો નથી અને રસ્તામાં જ તેનું અપહરણ કરી લીધું છે અથવા તેની સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે.
પરિવારે MEA પાસે માંગી મદદ
ધ્વનિતની માતા ધર્મિષ્ઠાબેને સરકારને વિનંતી કરી છે કે તેમના પુત્રને પરત લાવવામાં આવે. પિતાના જણાવ્યા મુજબ ધ્વનિતને શોધવા માટે તેનો મોટો ભાઈ પણ જ્યોર્જિયા પહોંચી ગયો છે. પરિવારે ત્યાંની સ્થાનિક પોલીસ, યુનિવર્સિટી સત્તાધીશો અને ભારતીય એમ્બેસીને લેખિત અને મૌખિક જાણ કરી છે, પરંતુ પરિવારનો આરોપ છે કે જ્યોર્જિયા પોલીસ તરફથી આ મામલે કોઈ યોગ્ય સહકાર કે નક્કર જવાબ મળી રહ્યો નથી.
આ ગંભીર બાબત સામે આવ્યા બાદ અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ દિનેશ મકવાણાએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. સાંસદે જણાવ્યું કે, ફોન પર વાતચીત દરમિયાન જ યુવકનું અપહરણ થયું હોવાની આશંકા નકારી શકાય તેમ નથી. તેમણે તાત્કાલિક અસરથી ભારતના વિદેશ મંત્રાલયને આ અંગે સત્તાવાર ઇ-મેઇલ મોકલીને સમગ્ર મામલાથી વાકેફ કર્યા છે અને કેન્દ્રીય સ્તરેથી જ્યોર્જિયા સરકાર પર દબાણ લાવીને ધ્વનિતને વહેલી તકે શોધવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
