મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવડમાં ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. ઘણા લોકોની હાલત ગંભીર છે. પોલીસે દારૂ કૌભાંડના મુખ્ય આરોપી યોગેશ વાનખેડે સહિત આઠ લોકોની ધરપકડ કરી છે.
અહેવાલો અનુસાર, પિંપરી-ચિંચવડના દાપોડી અને ફુગેવાડી વિસ્તારમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પુણેના કાલે પડલ વિસ્તારમાં ત્રણ અને હડપસર વિસ્તારમાં બે લોકોના મોત થયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ઝેરી દારૂ આરોપી યોગેશ વાનખેડે દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, જેના પર અગાઉ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે.
પોલીસે પુષ્ટિ આપી
પિંપરી-ચિંચવડ પોલીસે ગુરુવારે ફુગેવાડી વિસ્તારમાં પાંચ લોકોના મોત થયા હોવાનો અહેવાલ આપ્યો હતો. પોલીસે શરૂઆતમાં કહ્યું હતું કે પાંચમાંથી ચાર મૃત્યુ દારૂ સંબંધિત નહોતા, પરંતુ હવે તે બધાની તપાસ શરૂ કરવામાં આવી છે.
હડપસર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ત્રણ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું હતું કે આ લોકોએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. મૃત્યુનું ચોક્કસ કારણ શોધી કાઢવામાં આવી રહ્યું છે અને દારૂના ઝેરની શક્યતાની તપાસ કરવામાં આવી રહી છે.
યોગેશ વાનખેડેની ધરપકડ
રાજ્ય આબકારી કમિશનર અતુલ કનાડેએ જણાવ્યું હતું કે ફુગેવાડીમાં થયેલા મૃત્યુ બાદ વિભાગે તપાસ શરૂ કરી છે. કનાડેએ કહ્યું હતું કે, “અમે ફુગેવાડી અને હડપસર બંનેમાં દારૂ સપ્લાય કરનાર યોગેશ વાનખેડેની ધરપકડ કરી છે. તેને પિંપરી ચિંચવડ પોલીસને સોંપવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.”
