જનતા પોતાના જે પ્રતિનિધિને ચૂંટણીને લાવે છે એની પાસે માત્ર એક જ આશા રાખે છે કે તેમના જનપ્રતિનિધિ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવે અને પોતાના વિસ્તારનો વિકાસ કરે. પોતાના પાયાની જરૂરિયાતોનું ધ્યાન રાખે. પરંતુ ચૂંટણી સમયે મત લેવા નીકળતા નેતાઓ ચૂંટણી જીત્યા બાદ જાડી ચામડીના થઈ જાય છે. બસ આવો જ ઘાટ અમદાવાદના અસારવા વિસ્તારમાં પણ જોવા મળે છે.
અસારવા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા પણ પોતાના મત વિસ્તારમાં જનતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં ઉણા ઉતર્યા છે. પોતાના ભાગે શહેરી વિકાસ ખાતું હોવા છતાં પણ પોતાના વિસ્તારનો વિકાસ લુલો થઈ પડ્યો છે. મંત્રી અને ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોષ જોવા મળ્યો છે.
સ્થાનિક લોકોમાં માનવું છે કે અસારવામાં જે કામ શરું થાય છે તે કામ ક્યારેય પુરું થતું નથી એ પછી આરસીસી રોડ બનાવવાનું કામ હોય કે પછી બીજા કોઈ કામ. શહેરી વિકાસ મંત્રી પોતાના જ વિસ્તારનો વિકાસ ન કરી શકતા જનતામાં ભારે આક્રોષની સાથે નારાજગી પણ છતી થાય છે. કારણ કે બધા વિસ્તારના ધારાસભ્યો પોતાના વિસ્તારમાં વિકાસના કામો કરી રહ્યા છે અને ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પોતાના મત વિસ્તારને અનાથ બાળકની જેમ તરછોડી મૂક્યો હોય એવું લાગે છે.
પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે જનાક્રોશ
રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી અને અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના પોતાના જ મતવિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ભોગીલાલની ચાલીમાં છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી અત્યંત પ્રદૂષિત અને ગંદુ આવી રહ્યું છે.
ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. આ બાબતે સ્થાનિકો દ્વારા એએમસી (AMC) ના સત્તાધીશોને અનેકવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ સકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું નથી.
મંત્રી અને કોર્પોરેટરને રજૂઆતો છતાં પરિણામ શૂન્ય
અસારવા મત વિસ્તારમાં આવતા શાહીબાગ વોર્ડમાં આવેલા ભોગીલાલની ચાલીમાં લાંબા સમયથી હાલાકી ભોગવી રહેલા નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે, તેમણે આ સમસ્યા અંગે સ્થાનિક કોર્પોરેટર તેમજ ખુદ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાને પણ વારંવાર રજૂઆતો કરી હતી. આમ છતાં, નેતાઓ કે તંત્રના પેટનું પાણી હલ્યું ન હતું.
નેતાઓ અને અધિકારીઓની આ ઘોર ઉપેક્ષાને કારણે સ્થાનિકોમાં લાંબા સમયથી ભારે રોષ ભભૂકી રહ્યો હતો. જો આગામી દિવસોમાં આ પ્રદૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચ સ્તરે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાના જ વિસ્તારમાં વિકાસના દાવાઓ વચ્ચે ગંદા પાણીની આ સમસ્યા હવે ભારે ચર્ચાનો વિષય બની છે. હવે જોવું રહ્યું કે શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા પોતાના વિસ્તારની લાંબા સમયથી ચાલતી આ સમસ્યાનું ક્યારે નિરાકરણ લાવશે?
