ઓડિશા વિજિલન્સ વિભાગ દ્વારા દરોડામાં એક સરકારી એન્જિનિયરની કરોડોની કથિત સંપત્તિનો ખુલાસો થયો છે. અપ્રમાણસર સંપત્તિના કેસમાં અધિકારીની ધરપકડ કરવામાં આવી છે, અને તપાસ ચાલુ છે. ઓડિશાના સરકારી એન્જિનિયર ભુવનેશ્વર સાબર સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 2018 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ ₹10.72 લાખની ડિપોઝિટ, એક કાર, રોકડ અને આશરે ₹20 લાખની ઘરગથ્થુ સામાન પણ જપ્ત કર્યો છે.
જ્યારે ભુવનેશ્વર સાબર 20 વર્ષની ઉંમરે ઓડિશા સરકારમાં જુનિયર એન્જિનિયર તરીકે જોડાયા ત્યારે તેમનો પગાર માત્ર ₹6,000 હતો. પરંતુ જ્યારે આ અઠવાડિયે ઓડિશા વિજિલન્સ વિભાગની ટીમ તપાસ માટે પહોંચી, ત્યારે કથિત સંપત્તિએ અધિકારીઓને પણ સ્તબ્ધ કરી દીધા. એવો આરોપ છે કે સાબર પાસે હવે પાંચ બહુમાળી ઇમારતો, 97 પ્લોટમાં ફેલાયેલી 83 એકર જમીન, 17 એકરમાં ફેલાયેલા બે ફાર્મહાઉસ અને એક માર્કેટ કોમ્પ્લેક્સ છે.
અપ્રમાણસર સંપત્તિનો કેસ
આ અઠવાડિયે, રાજ્ય તકેદારી વિભાગે અપ્રમાણસર સંપત્તિના કેસના સંદર્ભમાં સાબર સાથે જોડાયેલા છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ભુવનેશ્વર સાબર હાલમાં ઓડિશા સરકારમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો હોદ્દો ધરાવે છે.
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 2018 હેઠળ સાબર સામે કેસ નોંધવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ ₹10.72 લાખની ડિપોઝિટ, એક ફોર વ્હીલર, રોકડ અને આશરે ₹20 લાખની ઘરવખરીનો સામાન પણ જપ્ત કર્યો છે.
વિભાગે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે તેની ટેકનિકલ શાખા સાબરની સંપત્તિનું મૂલ્યાંકન કરી રહી છે. એક તકેદારી અધિકારીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અધિકારીને તેમની સંપત્તિના સ્ત્રોત વિશે પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ તેઓ આટલી મોટી સંપત્તિ એકઠી કરવા બદલ સંતોષકારક ખુલાસો આપી શક્યા ન હતા, જેના પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.”
વર્ષ 1999માં 6000 રૂપિયાની હતી નોકરી
અધિકારીઓના જણાવ્યા મુજબ સાબર 1999માં સેવામાં જોડાયા હતા અને તેમનું પહેલું પોસ્ટિંગ ઓડિશાના કોરાપુટ જિલ્લાના સુનાબેડા ખાતે રોડ અને બિલ્ડિંગ વિભાગમાં હતું. તેમને 2013માં આસિસ્ટન્ટ એન્જિનિયર અને માર્ચ 2024માં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે બઢતી આપવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ કાલાહાંડી જિલ્લાના રહેવાસી સાબરને 2007 થી તેમના ગૃહ જિલ્લામાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા, જ્યારે આ સમયગાળા દરમિયાન તેમને બે પ્રમોશન મળ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સાબરની મોટાભાગની સંપત્તિ કાલાહાંડી અને નબરંગપુર જિલ્લામાં આવેલી છે, જ્યાં તેઓ અગાઉ પોસ્ટિંગમાં હતા. આ કેસની તપાસ ચાલુ છે.
આ કાર્યવાહી ઓડિશા સરકારના ભ્રષ્ટાચાર સામે ચાલી રહેલા અભિયાનનો એક ભાગ માનવામાં આવે છે. 2025માં, ઓડિશા તકેદારી વિભાગે 53 વર્ગ-1 અધિકારીઓ અને 39 વર્ગ-2 અધિકારીઓ સહિત 339 લોકો સામે 205 કેસ નોંધ્યા હતા. આ 205 કેસોમાં 49 કેસ અપ્રમાણસર સંપત્તિના અને 98 લાંચના છટકું કેસનો સમાવેશ થાય છે.
