સામાન્ય રીતે હડકવાના લક્ષણો ધરાવતું કૂતરું કરડે તો માણસને હડકવા થતો હોય છે પરંતુ બનાસકાંઠાના પાલનપુર સિવિલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના 45 વર્ષીય મહિલામાં નોળિયો કરડ્યાના દોઢ મહિના બાદ હડકવાના લક્ષણો જોવા મળતાં તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ મહિલાને હડકવા થયો હોવાનું નિદાન કર્યું છે.
માહિતી મુજબ, દોઢ મહિના અગાઉ મહિલાને નોળિયાએ કરડતાં તેઓ સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમને હડકવા વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદના ડોઝ લેવા જતાં તેમને જણાવાયું હતું કે નોળિયાના કરડવાથી સામાન્ય રીતે હડકવા થતો નથી, તેથી બાકીના ડોઝ લેવાની જરૂર નથી. આ સલાહ બાદ મહિલાએ આગળની રસી લીધી નહોતી.
તાજેતરમાં મહિલામાં હડકવાના ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા હતા. ખાસ કરીને તેમને હાઇડ્રોફોબિયા એટલે કે પાણીનો ભય જોવા મળ્યો હતો. પાણી સામે લાવતા જ તેઓ ગભરાઈ જતા હતા અને પાણી પીવામાં અસમર્થ બનતા હતા. આ લક્ષણોને આધારે પાલનપુરની બનાસ હોસ્પિટલમાં તબીબોએ તપાસ કરી અને હડકવા હોવાનું નિદાન કર્યું.
બનાસ મેડિકલ કોલેજ ખાતે અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે એક અજીબોગરીબ કિસ્સો હમણાં આવ્યો છે. રાજસ્થાનના સિરોહીના વતની 45 વર્ષીય ડાળીબેન ઉજાજી સરગડાને 17 જૂને દાખલ કરવામાં આવ્યાં છે. દોઢ મહિના અગાઉ એક નોળિયો એમને કરડી ગયો હતો.
નોળિયો કરડ્યા પછી એ લોકો ત્યાંની સરકારી હોસ્પિટલમાં ગયા હશે, એ સરકારી હોસ્પિટલમાં એક એન્ટી રેબીસ વેક્સીન એટલે કે હડકવા વિરોધી રસીનો એક ડોઝ આપેલો હતો.
ત્યારબાદ એ લોકો ફરી પાછા ગયા પણ એમને સ્થાનિક ડોક્ટરે એવું કહ્યું કે નોળિયાથી તો કોઈ દિવસ હડકવા લાગતો નથી એટલે તમે ઇન્જેક્શન નહીં લો તો ચાલશે. આથી બાકીના ઇન્જેક્શન ન લીધા.
