થોડા મહિનાઓ પહેલા રાજ્યના પાટનગરમાં એક શરમજનક ઘટના સામે આવી હતી. ગાંધીનગરના સેક્ટર 24ના ઈન્દિરાનગર છાપરા વિસ્તારમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટનામાં કોર્ટે દાખલો બેસાડતો ચૂકાદો આપ્યો છે. માત્ર સાડા પાંચ મહિનામાં જ કોર્ટે ચૂકાદો સંભળાવતા દુષ્કર્મના દોષીને આજીવન કારાવાસની સજા ફટકારી છે અને પીડિતાને 10 લાખનું વળતર આપવા પણ આદેશ કર્યો છે.
ક્યારે ઘટી હતી ઘટના?
મળતી માહિતી પ્રમાણે ગત 15 ડિસેમ્બર 2025ના રોજ આરોપીએ ગાંધીનગરમાં 4 વર્ષની બાળકીના ઘરની રેકી કર્યા બાદ રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને સૂતેલી બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપી બાળકીને નજીકની ઝાડીઓમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ આરોપી બાળકીને મૃત સમજીને ત્યાં છોડીને ભાગી ગયો હતો.
થોડીવાર બાદ તે ફરીથી એ ચેક કરવા પાછો આવ્યો હતો કે બાળકી જીવતી છે કે મરી ગઈ છે. જોકે બાળકીની હિંમત અને કુદરતી કરામતને કારણે હોશમાં આવતા જ તે લથડતા પગે પરિવાર પાસે પહોંચી ગઈ અને સમગ્ર પાપનો પર્દાફાશ થયો હતો.
કૃત્ય આચરવા માટે 10 દિવસ અગાઉથી જ પ્લાન તૈયાર કર્યો હતો
આ ગુનાની તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી કરિયાણાની દુકાને ખરીદી કરવા આવતો ત્યારે તેની નજર આ બાળકી પર પડી હતી. તેણે આ કૃત્ય આચરવા માટે 10 દિવસ અગાઉથી જ પ્લાન તૈયાર કર્યો હતો અને તે સતત બાળકીની રેકી કરતો હતો. ગુનો આચરીને તે પોતાના વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં હતો. પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને 5 દિવસમાં જ દબોચી લીધો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે અલગ-અલગ એજન્સીઓના સંકલન અને FSLની મદદથી અમે મજબૂત વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા છે. બાળકીને ઝડપી ન્યાય મળે તે માટે પોલીસે રાત-દિવસ કામ કરીને 13 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી હતી.
આ કેસમાં આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને દોષિત ઠેરવીને તેને તેના જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા એટલે કે આજીવન કારાવાસ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, કોર્ટે ભોગ બનનાર બાળકીને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આરોપી જેલમાં મર્યા પછી જ લાશ પરિવારને સોંપવા પણ હુકમ કરવામાં આવ્યો છે.
