અમદાવાદઃ મે મહિનામાં લેવાયેલી નીટ-યુટીની પરીક્ષા પેપર લીકના વિવાદ બાદ રદ્દ કરી દેવામાં આવી હતી. હવે આગામી 21 જૂન, રવિવારે નીટની પુનઃપરીક્ષા યોજાવાની છે. પરંતુ આ પહેલાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આજે વહેલી સવારે એક 17 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવી લીધું છે. પોલીસની તપાસમાં વિદ્યાર્થી નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીએ ક્યા કારણે આપઘાત કર્યો છે તેનું કારણ સામે આવ્યું નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ગઇકાલે(17 જૂન) મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના B બ્લોકમાં છઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીની જાળી કાપી મોતની છલાંગ લગાવી હતી. વિદ્યાર્થી નીચે પડતા સિકયુરિટી ગાર્ડને જાણ થઈ અને તેને અન્ય લોકોને જાણ કરી હતી. બનાવમાં વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. હાલ મૃતદેહને પીએમ માટે સિવિલ મોકલવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થી NEETની પરીક્ષાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે. મૃતકે NEETના વિકલ્પ તરીકે ફાર્મસીનું ફોર્મ પણ ભર્યું હતું. કયા કારણથી આત્મહત્યા કરી તે હજુ સુધી સામે આવ્યું નથી. બનાવની જાણ થતા સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
14 માળના ફ્લેટ છે જેના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. વિદ્યાર્થી નીચે પડ્યો ત્યારે તેનો શ્વાસ ચાલતો હતો, પરંતુ એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી મોત થઈ ચૂક્યું હતું. મૃતદેહ પાસેથી વિદ્યાર્થીના ચશ્મા મળી આવ્યા હતા જે હજુ પણ ત્યાં જ છે. ફ્લેટમાં માતા અને બે બાળકો જ રહેતા હતા. મૃતકના પિતા સુરતમાં રહે છે.
