દેશના વિકાસના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વસ્તીગણતરી 2026ના પ્રથમ તબક્કાનો સમગ્ર દેશ અને રાજ્ય સાથે સુરત ખાતે પણ પ્રારંભ થયો છે. ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અભિયાનના બીજા દિવસે જ પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતના તમામ નાગરિકોને પોતાની રાષ્ટ્રીય ફરજ સમજીને આ ડિજિટલ અભિયાનમાં ઉત્સાહભેર જોડાવા માટે જાહેર અપીલ કરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જનગણના-2027 માત્ર વસ્તીની ગણતરી નહીં પરંતુ દેશના ભવિષ્યના વિકાસ માટેનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.
ભારત સરકાર દ્વારા હાથ ધરાતી આ રાષ્ટ્રીય પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતી માહિતીના આધારે આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન સહિત વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનું અસરકારક આયોજન અને અમલીકરણ શક્ય બને છે.
સાચા અને વિશ્વસનીય આંકડાઓ થકી સરકારને નીતિનિર્માણમાં દિશા મળે છે તેમજ સમાજના દરેક વર્ગ સુધી વિકાસના લાભો સમાન રીતે પહોંચાડવામાં મદદ મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, “સચોટ જનગણના એટલે સશક્ત વિકાસનો પાયો,” અને દરેક નાગરિકની ભાગીદારી દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે.
તેમણે રાજ્યના નાગરિકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, તા. 15 મેથી 31 મે દરમિયાન યોજાનારી ‘સ્વ-ગણના’ પ્રક્રિયામાં દરેક પરિવાર સક્રિયપણે જોડાય અને ઘરે બેઠા પોતાના પરિવારની તમામ જરૂરી વિગતો જાતે જ ભરે. ડિજિટલ માધ્યમ દ્વારા સરળતાથી પૂર્ણ થઈ શકતી આ પ્રક્રિયા સરકારને લોકોની વાસ્તવિક જરૂરિયાતો સમજવામાં મદદરૂપ બનશે.
જેના આધારે ભવિષ્યમાં વધુ અસરકારક અને લોકોના હિતની યોજનાઓ અમલમાં મૂકી શકાશે. સાથે જ તેમણે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, જનગણના દરમિયાન પ્રાપ્ત થતા OTP અથવા અન્ય કોઈપણ ગુપ્ત માહિતી અજાણ્યા વ્યક્તિ સાથે ક્યારેય શેર ન કરવી અને સાયબર સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખવો.
આ પ્રસંગે મહાનગરપાલિકા કમિશનર એમ. નાગરાજન, એડિશનલ સિટી સેન્સસ ઓફિસર રાકેશ મોદી, સંગઠન પ્રદેશ પ્રમુખ પરેશ પટેલ સહિત સેન્સસના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
